Friday, May 8, 2009

rabari dharm sthano

રબારી કોમ હિન્દુ દેવ-દેવીઓની ઉપાસક કોમ છે. ધર્મ,સંસ્કાર મજબુત દિવાલની જેમ અડીખમ છે. દરેક રબારીનાં ગામો કે નેસમાં કોઇને કોઈ રીતે ધર્મસ્થાનો સ્થપાયેલાં છે. કોમનો સંપ એ દ્વારા જ જળવાયો છે. જ્યાં ધર્મ કાર્ય થાય, દેવ દેવીની સ્થાપના થાય એવી જગ્યાને મંદિર, જગાગુરૂદ્વાર, ગુરૂદરબારના નામે ઓળખે છે. ગુજરાતભરમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે, જેવી કે દુધરેજ, દુધઈ, મેશરીયા, વાળીનાથ, પીરાણા, દેત્રોજ, ટીંટોડા, શેરથા વગેરે. આ જગ્યા(મંદિર) નો વહીવટ રબારી સમાજે સ્થાપેલા સંત, મહંત કે પેઢી દર પેઢી ચાલતા આવેલા સાધુ કરે છે. આવે સ્થાને સાધુ, સંત રહે છે જેમને રબારી કોમ પોતાના ધર્મગુરૂ માનીને તેમણે બતાવેલા રાહ પર રીતરિવાજો કરે છે. દરેક રબારીને પોતાના સંત પ્રત્યે ઊંડી શ્રધ્ધા હોય છે.

તીવ્ર સુઝ, બુધ્ધિથી સેંકડો વર્ષો પહેલાં અભણ રબારી કોમે સમાજના આશ્રમરૂપી મંદિરો બાંધ્યા, તેમાં સમાજના લૂલા, લંગડા, આંધળા, મૂંગા, અનાથ હોય તેને મુકવામાં આવે છે. મંદિરમાં તેઓ ધાર્મીક શીક્ષણના ક્રીયાકાંડથી સાધુપણાનો ઉછેર પામે છે. એજ અનાથ ભવિષ્યમાં સંત બનીને પૂજનીય મહંતશ્રીની પદવી પામીને, સમાજના મંદિરમાં ધર્મગુરૂની ગાદી શોભાવે છે, અને સમાજ તેમની ચરણ રજ માથે ચડાવે છે.

આ અનાથ આશ્રમ રૂપી મંદિરોના કારણેજ આ બહોળા સમાજનો કોઇપણ માણસ રસ્તે રઝળતો કે ભીખ માંગતો જોવા મળતો નથી.

રબારીઓની સંસ્થાના આરાધ્ય દેવ શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીનાથજી, શ્રીનકલંગ દેવ મનાય છે. મુસ્લિમ રાજ્ય વખતે ધર્મ બચાવવા ખાતર કેટલાક રબારી સંસ્થાઓને પીરાણા ધર્મ દાખલ કરવો પડ્યો, છતાં તે હિન્દુ અને પીરાણા બન્નેના રીતરિવાજ પાળે છે.

રબારી કોમના સંતો - સાધુઓ મોટા ભાગે રબારી કોમથી જ થયેલા હોય છે. કોઇ કોઈ સંસ્થામાં ભેખધારી સંતોને પણ સ્થાન મળ્યું છે.

સંસ્થા માટે સંસ્થાના સંતો, સેવકો ઉધરાણુ કરવા નીકળે જે દાન રૂપે આપવાનું ફરજિયાત હોય છે. કોઈ રોકડ આપે તો કોઈ ઘી આપે છે. અમુક વર્ષોના અંતે રબારી કોમના મહંત ઉઘરાણે નીકળે તેને 'વેલ' નીકળી કહે છે. લોકો આનંદથી સંતને સત્કારે અને દાન દક્ષિણા આપે છે.

દર વર્ષે દરેક સંસ્થાઓના મેળા અને ઉત્સવ નક્કી કરેલા હોય તે મુજબ યોજાય છે.

No comments: