Friday, May 11, 2012

આવો જાણ્યે થરા ઝાઝાવડા વાળીનાથ મહાદેવ વિશે


બનાસકાંઠાની ધરાનું આ દેવળ સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજની ગુરુગાદી હોવા છતાં થરામાં ભરવાડ સમાજનું એક પણ ખોરડું (ઘર) નથી. આ તીર્થધામ પ્રત્યે સૌ કોઇને શ્રદ્ધા છે.
બનાસકાંઠાની ધરા પવિત્ર તીર્થધામો, સંતો-મહંતો, શૂરવીરોને બીજી અનેક રીતે ગૌરવ ધરાવે છે. આ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી એવા ઝાઝાવડા-વાળીનાથ મહાદેવ તીર્થધામની જાણકારી મેળવીએ. દિલ્હી કંડલા નેશનલ હાઇ-વે નં. ૧૪ પર આવેલ થરાનગર રાધનપુરથી ૨૭ કિ.મી., હારીજથી ૩૫ કિ.મી., પાટણ વાયા શિહોરીથી ૫૫ કિ.મી., ડીસાથી ૫૦ કિ.મી. તથા સરહદીય થરાદથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે.
આ નગરની મધ્યમાં સોમનાથ મંદિરની સ્મૃતિ કરાવતું વિશાળ શિવ મંદિર આકર્ષક કલાત્મક દરવાજાથી સુશોભિત આવેલું છે. અહીંની વ્યવસ્થા, ગૌશાળા-ભોજનશાળા યાત્રિકોને અનેરા સુખશાંતિનો અહેસાસ કરાવે છે. આ તીર્થધામ ભગવાન શ્રીકૃષ્ણના સમયનું હોવાનું એક લોકોક્તિ પ્રમાણે મનાય છે


ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સમાપ્ત કરી સ્વધામ તરફ પ્રયાણ કર્યું ત્યારે વ્રજમાં રહેતા ભરવાડ-ગોવાળોને ઇચ્છા થઇ કે આપણે દ્વારિકાની યાત્રા કરવા જઇએ. ભરવાડ-ગોપાલકોનો સંઘ પોતાની ગાયો સાથે દ્વારકાની યાત્રાએ ચાલી નીકળ્યો. ગોકુળથી દ્વારિકા જવા માટે રાજસ્થાનમાં થઇ સીધો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં રસ્તો હતો. હાલ પણ રાજસ્થાન-બનાસકાંઠા (ગુજરાત)ના ટૂંકા રસ્તા પર પીવાના પાણીની ટાંકીઓ મોજૂદ છે. જેના પર ‘દ્વારકાના યાત્રાળુઓ માટે’ એવો ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે.
આ રીતે આ ભરવાડ-ગોપાલકોનો સંઘ દ્વારકા જતાં હાલ કાંકરેજ તાલુકાનું થરાનગર છે ત્યાં આવ્યો. અહીં બનાસ નદી બંને કાંઠે વહેતી હતી. વૃક્ષોની સુંદર વનરાજી અને હરિયાળો ચારો જોતાં ગોપાલ-ભરવાડો તેમના ધણ સાથે અહીં રાત્રિ રોકાયા. સંઘમાં ભરવાડ-ગોપાલકના વયોવૃદ્ધ અગ્રણી જસરાજ હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ગોવાળોમાં આદરણીય અને વિશાળ ગોપાલક સમાજના વડા હોવાથી ‘ઝાઝાવડા’થી ઓળખાતા. કહેવાય છે કે તેમને એ રાત્રે સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણે આવીને કહ્યું ‘હે વત્સ! તમે જ્યાં અત્યારે રોકાણ કર્યું છે ત્યાં જ રોકાઇ જાઓ. આ જગ્યા પવિત્ર છે અને ગાયો માટે પણ અનુકૂળ છે. એટલે અહીં વસશો તો બધી રીતે સુખી થશો.’
જસરાજે કહ્યું, પ્રભુ, આપની આજ્ઞા શિરોમાન્ય છે, પરંતુ આપ આપની પ્રસાદીરૂપે કંઇક સ્મૃતિચિહ્ન આપો જેથી દરેકને વિશ્વાસ બેસે. શ્રીકૃષ્ણને ભગવાન ભોળાનાથ પ્રિય છે તેથી તેમણે કહ્યું: ‘તમે ગાયોના વાડામાં ખોદશો તો તમને શિવલિંગ મળશે.’
સવાર પડતાં ઝાઝાવડા જસરાજે પોતાના સ્વપ્નની વાત ગોવાળોને બોલાવીને કહી. સ્વપ્નાદેશ પ્રમાણે ગાયોના વાડામાં ખોદતાં શિવલિંગ મળી આવ્યું અને તેને જોતાં જ સૌ ગોવાળો આનંદથી નાચી ઊઠ્યા.
ભરવાડ-ગોપાલકના સંઘે શ્રાવણ સુદ-પૂનમ રક્ષાબંધનના દિવસે વિધિ-વિધાનપૂર્વક શિવલિંગની પ્રતિષ્ઠા-પૂજા અર્ચના કરીને પોતાના ઇષ્ટદેવ માની નમસ્કાર કર્યા ત્યારથી આ ‘શિવલિંગ’ ‘ઝાઝાવડા વાળીનાથ’ સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજના ઇષ્ટદેવ તીર્થ બન્યું. વર્ષોની પરંપરા મુજબ અહીં રક્ષાબંધનનો ભવ્ય લોકમેળો ભરાય છે. સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજ પોતાની બાધા પૂર્ણ કરે છે.
આ તીર્થની જેમ અહીંના બ્રહ્નલીન મહંત નરભેપુરીજી મહારાજ એક અવતારી ઓલિયા પુરુષ હતા. તેમના સુસંસ્કારોથી ઘડાયેલા અને કંઇક વિશિષ્ટ પ્રાપ્ત કરી ગુરુ કરતાં શિષ્ય સવાયો થાય તે પરંપરા હાલના મહંત શિવપુરીજી ગુરુ નરભેપુરીજી મહારાજ નિભાવી રહ્યા છે. ગુરુને સાચી શ્રદ્ધાંજલિ રૂપ દેવાલયનો ભવ્યાતિભવ્ય રીતે જીર્ણોદ્ધાર કર્યો ને અદ્યતન શિલ્પ સ્થાપત્યથી ભરપૂર કલાત્મક પ્રવેશદ્વારના દરવાજાનું નિર્માણ કર્યું. ભારતના પ્રત્યેક મંદિરમાં ગૌસેવા, ગૌસંવર્ધન અને ગોરસનો જ આગ્રહ રાખવામાં આવે તો ગૌવધ કે ગૌ વશંવધનો પ્રશ્ન લોકજાગૃતિનો પ્રશ્ન બની જાય.
અહીં કૃષિને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. આ તીર્થ કૃષિક્ષેત્રે સારું એવું જ્ઞાન ધરાવે છે અને એક કુશળ કૃષિકારની ભૂમિકા ભજવી મંદિરના ધાન્યભંડારને છલકતા રાખે છે. તો ગૌશાળામાં વિહરતી ગાયો અને વાછરડાં દર્શનીય છે.

No comments: